Site Overlay

તણાવ અને કેન્સર – stress and cancer

ઐડ્સ (AIDS)ના દર્દીઓને એક ચોક્કસ પ્રકારના કેન્સર (cancer) થવાનું જોખમ વધારે હોય છે, જેમ કે કાપોસીનો સારકોમા (Kaposi’s sarcoma) જે વિવિધ અંગોમાં ગાંઠ રૂપે જોવા મળે છે. ઐડ્સના દર્દીયોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડવાને કારણે આ કેન્સર થવાનું જોખમ વધી શકે છે, પણ મહત્વની વાત એ છે કે બધાજ ઐડ્સના દર્દીયોને આ કેન્સર નથી થતો. કોઈ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ સદંતર નિષ્ક્રિય સ્તરે પહોચી જાય ત્યારે તેમને કેન્સર થવાનું જોખમ ગંભીર રૂપે વધે શકે છે. પણ આપડે આગળના લેખમાં વાંચ્યું એમ, તણાવના (stress) કારણે રોગપ્રતિકારક તંત્ર નબળું જરૂર પડે છે પણ નિષ્ક્રિય નથી થતું. તો પછી તમે વિચારતા હશો કે તણાવ અને કેન્સર ને શું સંબંધ?

હાલના સમયમાં તણાવ વિષે સંશોધન કરતા વૈજ્ઞાનિકો માટે, તણાવ ની કેન્સર પર અસર વિષે જાણવું તે એક મહત્વનો મુદ્દો છે. કેન્સર (cancer) અકુદરતી અને અસ્વસ્થ કોષ-વિભાજનના કારણે થતો રોગ છે. સામાન્ય રીતે ગર્ભમાં અને  બાલ્ય અવસ્થા દરમ્યાન તમારું શરીર વિકાસ અને વૃદ્ધીમાં ખુબ ઉર્જા અને સમય વિતાવે છે. એક ચોક્કસ પ્રમાણમાં વૃદ્ધિ પામવા માટે અને તેના સચોટ અને સમયસર નિયમન માટે વિશેષ જનીન (genes) જવાબદાર હોય છે. બસ આજ જનીનોના અસામાન્ય અથવા અકુદરતી નિયમન ને કારણે કેન્સર ના કોશો વૃદ્ધિ પામે છે. આ જનીન કેન્સરને અવરોધક (tumor-suppressing genes) અથવા કેન્સરને સહાયક (oncogenes) હોઈ શકે છે.

આપડે ઘણી જગ્યાએ વાંચ્યું અથવા સાંભળ્યું હશે કે તણાવને કારણે કેન્સર થવાની શક્યતા વધી શકે છે. અને કેન્સર થયા બાદ તણાવ માં રહેવાને કારણે કેન્સરની પ્રગતિ પણ ઝડપી થઇ શકે છે. સમાજમાં આવી અનેક ધારણાઓ તણાવ અને કેન્સરના સંબંધ વિષે ફેલાયેલી છે. તો ચાલો અહિયાં આપડે તેમને વારાફરતી ચકાસીએ – કે શું ખરેખર આ વાતો સાચી છે?

પહેલા જાણીએ કે તણાવ અને કેન્સરને લગતા પ્રયોગો કેવી રીતે કરવામાં આવે છે. અસામાન્ય તણાવ અને અતિશય ગ્લુકો-કોર્ટીકોઈડ (glucocorticoids) જેવા તણાવ ને લગતા હોર્મોન્સના (hormones) સ્ત્રાવ ને કારણે પ્રયોગશાળાના પશુઓમાં (જેમ કે ઊંદર, સસલું, વગેરે) કેન્સરની શક્યતા વધતી જોવા મળે છે. પણ મનુષ્ય માટે આ નોધનું અર્થ ઘટન કેવી રીતે કરી શકીએ? તો જાણવાની વાત એ છે કે આપડી પાસે આ વાતને નકારવા માટેના ઘણા કારણો છે – જેમ કે વૈજ્ઞાનિકો કોઈ ઉંદરને કેન્સર થાય તેની રાહ નથી જોતા, પણ તે ઉંદરમાં બહાર થી કેન્સરના કોશો દાખલ કરે છે અને ત્યાર બાદ તે કેન્સરના કોષોની વૃદ્ધિ નોધે છે. મનુષ્યોમાં મળી આવતા કેન્સર આવી અકુદરતી રીતે વૃદ્ધિ નથી પામતા, જેથી કરીને તણાવ અને કેન્સર વચ્ચેના સંબંધ નું વિશ્લેષણ કરતા આવા વિવિધ પ્રયોગો ને વિશ્વસનીય કેમ ગણવા તે એક અલગ ચર્ચા નો વિષય છે.  

તણાવ અને કેન્સર વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવો એટલે અઘરો છે કારણ કે મોટા ભાગના નવા વિદ્યાર્થીઓ જે આ ક્ષેત્રમાં સંશોધન માટે જોડાય છે, તે એવી પૂર્વધારણા સાથે પ્રવેશે છે કે તણાવ અને કેન્સર વચ્ચે સીધો સંબંધ છે. તેથી જ ઘણી વિગતવાર શોધખોળ અને વિષયલક્ષી સમય ની જરૂર આ વાતનો ઉત્તર આપવામાં ગઈ છે. પહેલી નજરે આપણને પણ એમ જ થાય કે વધારે તણાવ એટલે કેન્સર થવા ની શક્યતા વધારે. પણ આ વાતમાં એક લોચો છે – કે આ સીધા સંબંધને સાબિત કરતા મોટા ભાગ ના અભ્યાસ પૂર્વવર્તી (retrospective) હોય છે. અર્થાત, કોઈ વ્યક્તિની કેન્સર થયા બાદ તેમને પૂછવામાં અથવા તો અભ્યાસ કરવામાં આવે કે તે વ્યક્તિ કેવો તણાવ અનુભવતા હતા. સમસ્યા એ છે કે જયારે આપડા જીવનમાં કોઈ ખરાબ સમય આવે ત્યારે આપણને બધું ખરાબ જ યાદ આવે છે. તેથી જ કોઈ કેન્સરના દર્દી ને તેમના પાછલા બે-ત્રણ વર્ષ દરમ્યાન અનુભવ્યા તણાવ વિષે પૂછો તો તે તમને બધી દુખદ વાતો જ વધારે કહેશે. આ વાત વિવિધ  પ્રયોગો દ્વારા સાબિત થઇ ચુકી છે કે જયારે તમે કોઈ વ્યક્તિના તણાવ નો ઈતિહાસ પૂછો, તો બીજા દર્દીયોને તુલનામાં કેન્સરથી પીડાતા દર્દીયો વધારે સારી રીતે તણાવને યાદ કરી શકશે. તેમ જ ગંભીર કેન્સરથી પીડાતા દર્દીયો અન્ય કેન્સર દર્દીયો કરતા વધારે સારી રીતે તણાવને યાદ કરી શકશે. આ કારણો સર પૂર્વવર્તી (retrospective) અભ્યાસથી મળી આવતા પરિણામો ઓછી વિશ્વસનીયતા દર્શાવે છે. તેમની સરખામણીમાં સંભવિત (prospective) અભ્યાસ પદ્ધતિ વધારે વિશ્વસનીય માની શકાય – જેમાં સમાજના વિવિધ તંદુરસ્ત વ્યક્તિઓ નો લાંબા સમય માટે અભ્યાસ કરવામાં આવે છે, અને તેમણે અનુભવ્યા રોજીંદા તણાવ અને કેન્સર થવાની સંભાવના વચ્ચેનો સંબંધ નોધવામાં આવે છે. હજુ આ પ્રકારના સંભવિત (prospective) અભ્યાસો દ્વારા કોઈ ચોક્કસ પરિણામ નથી મળ્યા અને તેની આતુરતાથી રાહ જોવાય છે.

તણાવથી પણ આગળ વિચારીએ તો, કોઈ વ્યક્તિના સ્વભાવ અથવા પ્રકૃતિ ના કારણે તેમને કેન્સર થવાનું જોખમ વધી શકે? તો અત્યારે સંશોધન હેઠળનો આ એક મહત્વનો પ્રશ્ન છે. આ મહત્વનો પ્રશ્ન એટલા માટે છે કારણકે વિવિધ હોસ્પિટલોમાં, અથવા વિવિધ દાક્તરો કે ગુરુઓ દ્વારા તણાવનું સંચાલન (stress management) કરવા માટેના વિશેષ કાર્યક્રમો યોજાય છે. અને ખાસ તો કેન્સર થી બચવા અથવાતો કેન્સરની પ્રગતિને રોકવા માટેના આવા કાર્યક્રમોની જાહેરાત આપડે રોજ જોતા હોઈએ છીએ. પણ આપડે વાંચ્યું તેમ તણાવ અને કેન્સર વચ્ચેનો સીધો સંબંધ હજુ સુધી વૈજ્ઞાનિક રીતે સ્થપાયેલ નથી – અને આમ તેની ખોટી જાહેરાત કરવી તે બેજવાબદાર અને ખરાબ નીતિશાસ્ત્રની નિશાની છે.

1 thought on “તણાવ અને કેન્સર – stress and cancer

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.