Site Overlay

તણાવ અને વૃદ્ધત્વ – stress and ageing

સામાન્ય રીતે આપણો ઘડપણ પ્રત્યે નો ખ્યાલ એવો હોય છે જેમાં આપણે એક શાંત જીવન વિતાવતા હોઈએ, ખુબ ધીરજવાન અને સમજદારી ભર્યું વર્તન હોય અને બધીજ વાત માં સુખ-શાંતિ હોય. પણ આ વિચારમાં આપણે તે ભૂલી જઈએ છીએ કે આપણું શરીર આપણે અત્યાર સુધીના વર્ષોમાં જેટલો પણ તણાવ (stress) અનુભવ્યો હશે તેની ભરપાઈ વૃદ્ધ અવસ્થામાં ચૂકવશે.

તો તણાવ અને વૃદ્ધત્વ વચ્ચે શું સંબંધ? તો જ્યારથી તણાવની શારીરિક અસર પર સંશોધન શરુ થયું, આશરે ૧૯૩૦ દરમ્યાન, ત્યારથી જ વૈજ્ઞાનિકો માનતા હતા કે તણાવ અને વૃદ્ધત્વ વચ્ચે એક ગાઢ સંબંધ હશે. પહેલી ધારણા તે હતી કે વૃદ્ધત્વ દરમ્યાન કોઈ વ્યક્તિ અથવા જીવ તણાવ સામે નબળા પડતા જશે અને તેનું નિયમન વધારે અઘરું થતું જશે. બીજી વાત એ કે અતિશય તણાવ ને કારણે કોઈ વ્યક્તિ વૃદ્ધ અવસ્થામાં જલ્દી પ્રવેશી શકશે. આ સમજણ પ્રમાણે ફરી એક વાર આપણે એક વિષચક્ર માં પ્રવેશી રહ્યા છીએ જેમાં તણાવ ને કારણે વૃદ્ધત્વ જલ્દી આવી શકે, અને વૃદ્ધાવસ્થા દરમ્યાન તણાવ સામે શરીર નબળું પડતું જાય. તો આ બંને વિચારો માટે ના કોઈ પુરાવા ખરા કે નહી?

તો પહેલા વિચાર માટે ના અઢળક પુરાવા આપણા રોજીંદા જીવન માં થી જ મળી આવે છે. ઉદાહરણ તરીકે, વૃદ્ધ અવસ્થા પહેલા નાના-અમથા તણાવ ને કારણે શરીરમાં ગ્લુકો-કોર્ટીકોઈડ(glucocorticoids) જેવા તણાવ ને લગતા હોર્મોન્સ (stress-hormones) ના સ્ત્રાવમાં અતિશય વધારો જોવા નથી મળતો, જે વૃદ્ધાવસ્થા દરમ્યાન જોવા મળે છે. જેમાં શરીરમાં ગ્લુકો-કોર્ટીકોઈડ(glucocorticoids) નું સ્તર સામાન્ય થતા વધારે વાર લાગે છે. આના કારણે મગજમાં ચેતાતંતુઓની ઉત્પત્તિમાં ઘટાડો થાય છે અને માનસિક સક્રિયતા પર અસર પહોચે છે. મગજ પર સતત-રહેતા તણાવના પરિણામે બીજા શારીરિક કર્યોમાં, જેમ કે તાપમાન નિયમન, સમજશક્તિ, વગેરે પર પણ ખરાબ અસર જોવા મળે છે.

આ ઉપરાંત તણાવના કારણે થતા વૃદ્ધત્વ ના પણ વિવિધ પુરાવા જોવા મળે છે. જેમ કે તણાવ ને કારણે થતી મગજ પર આડ અસર ને લીધે સમજશક્તિ નબળી પડતી જાય છે. આપણે આગળના લેખોમાં વાંચ્યું એમ, કોઈ નવજાત ઊંદરના બચ્ચા ને તમે તેના જીવન ના પહેલા એક-બે મહિના માટે રોજ ઉચકો અને તમારી સાથે પાંચ-એક મિનીટ માટે રમાડો તો તેને આની ટેવ પડશે. આશ્રયની વાત એ છે કે બસ આ નાની-અમથી રમત ને કારણે તે ઊંદર જયારે પુખ્ત વાયનું થશે ત્યારે તેના શરીરમાં ગ્લુકો-કોર્ટીકોઈડ(glucocorticoids) જેવા તણાવ (stress) ને લગતા હોર્મોન્સ (hormones) નું ઓછુ સ્તર જોવા મળશે. ઉપરાંત તે ઊંદરની યાદશક્તિ બીજા ઉંદરો કરતા તીવ્ર હશે, અને તેની શીખવાની ક્ષમતા પણ વધારે હશે. વૃદ્ધ-અવસ્થામાં પણ તે ઊંદરની માનસિક અને મગજને લગતી કાર્યશક્તિ લાંબા સમય સુધી પ્રબળ જોવા મળશે. ઉપરાંત આપણે Dutch Hunger Winter Babies વિષે પણ આગળ વાંચ્યું, કે આ બાળકો વધારે જલ્દી વૃદ્ધાવસ્થા માં પ્રવેશે છે અને ડાયાબીટીસ જેવા અન્ય રોગ થી પણ પીડાતા હોય છે. તો આ દર્શાવે છે કે કોઈ વ્યક્તિના જીવન દરમ્યાન બધાજ વર્ષોમાં અનુભવતા તણાવ ને કારણે વૃદ્ધાવસ્થા જલ્દી આઈ શકે છે.

1 thought on “તણાવ અને વૃદ્ધત્વ – stress and ageing

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.